યર્મિયા ૪૧:૧-૧૮
૪૧ સાતમા મહિનામાં અલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઇશ્માએલ+ પોતાના દસ માણસોને લઈને મિસ્પાહ આવ્યો.+ તે રાજવંશમાંથી હતો અને રાજાનો મુખ્ય અધિકારી હતો. તે અહીકામના દીકરા ગદાલ્યાને મળવા આવ્યો. તેઓ સાથે મળીને મિસ્પાહમાં જમતા હતા એવામાં,
૨ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસો ઊઠ્યા અને શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાને તલવારથી મારી નાખ્યો. બાબેલોનના રાજાએ જેને દેશ પર અધિકારી ઠરાવ્યો હતો, તેને ઇશ્માએલે મારી નાખ્યો.
૩ ઇશ્માએલે એ યહૂદીઓને પણ મારી નાખ્યા જેઓ મિસ્પાહમાં ગદાલ્યાની સાથે હતા. તેણે ત્યાં હાજર ખાલદી સૈનિકોને પણ મારી નાખ્યા.
૪ ગદાલ્યાની હત્યાના બીજા દિવસે, કોઈને એની જાણ થાય એ પહેલાં,
૫ શખેમ,+ શીલોહ+ અને સમરૂનથી+ ૮૦ માણસો આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવી હતી, પોતાનાં કપડાં ફાડ્યાં હતાં અને પોતાના શરીર પર કાપા પાડ્યા હતા.+ તેઓ પોતાના હાથમાં અનાજ-અર્પણો અને લોબાન* લઈને આવ્યા હતા,+ જેથી યહોવાના મંદિરમાં એ ચઢાવી શકે.
૬ નથાન્યાનો દીકરો ઇશ્માએલ મિસ્પાહથી નીકળ્યો અને રડતાં રડતાં તેઓને મળવા ગયો. તે તેઓને મળ્યો ત્યારે તેણે કહ્યું: “અહીકામના દીકરા ગદાલ્યા પાસે આવો.”
૭ તેઓ શહેરમાં આવ્યા ત્યારે, નથાન્યાના દીકરા ઇશ્માએલે અને તેના માણસોએ તેઓને મારી નાખ્યા અને ટાંકામાં ફેંકી દીધા.
૮ તેઓમાંના દસ માણસોએ ઇશ્માએલને કહ્યું: “અમને મારી ન નાખો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધનો મોટો ભંડાર છે, જે અમે ખેતરોમાં સંતાડ્યો છે.” એટલે ઇશ્માએલે તેઓને જીવતા રહેવા દીધા અને તેઓના ભાઈઓ સાથે મારી ન નાખ્યા.
૯ ઇશ્માએલે મારી નાખ્યા હતા એ માણસોનાં શબ તેણે એક મોટા ટાંકામાં નાખ્યા. એ ટાંકો રાજા આસાએ ઇઝરાયેલના રાજા બાશા વિરુદ્ધની લડાઈ વખતે ખોદાવ્યો હતો.+ નથાન્યાના દીકરા ઇશ્માએલે એ માણસોનાં શબથી ટાંકો ભરી દીધો.
૧૦ ઇશ્માએલે મિસ્પાહમાં બચી ગયેલા બધા લોકોને ગુલામ બનાવ્યા.+ તેઓમાં રાજાની દીકરીઓ અને મિસ્પાહમાં બચી ગયેલા લોકો પણ હતાં, જેઓને રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને અહીકામના દીકરા ગદાલ્યાના હાથમાં સોંપ્યાં હતાં.+ નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને ગુલામ બનાવીને પેલે પાર આમ્મોનીઓ પાસે લઈ જવા નીકળી પડ્યો.+
૧૧ નથાન્યાના દીકરા ઇશ્માએલના દુષ્ટ કામ વિશે કારેઆહના દીકરા યોહાનાને+ અને તેની સાથેના સેનાપતિઓએ સાંભળ્યું.
૧૨ તેઓ પોતાના બધા માણસોને લઈને નથાન્યાના દીકરા ઇશ્માએલ સામે લડવા ગયા. તેઓને ઇશ્માએલ ગિબયોનમાં મળ્યો, જ્યાં ખૂબ પાણી* હતું.
૧૩ ઇશ્માએલે જેઓને ગુલામ બનાવ્યા હતા, એ લોકોએ કારેઆહના દીકરા યોહાનાનને અને તેની સાથેના સેનાપતિઓને જોયા ત્યારે, તેઓ ખુશ થઈ ગયા.
૧૪ ઇશ્માએલે મિસ્પાહથી જે લોકોને ગુલામ બનાવ્યા હતા,+ તેઓ તેને છોડીને કારેઆહના દીકરા યોહાનાન પાસે જતા રહ્યા.
૧૫ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અને તેના આઠ માણસો યોહાનાનથી બચીને આમ્મોનીઓ પાસે નાસી ગયા.
૧૬ નથાન્યાના દીકરા ઇશ્માએલે અહીકામના દીકરા ગદાલ્યાને મારી નાખ્યો,+ એ પછી કારેઆહનો દીકરો યોહાનાન અને તેની સાથેના સેનાપતિઓ મિસ્પાહમાં બચી ગયેલા લોકોને પોતાની સાથે લઈ આવ્યા. તેઓએ એ લોકોને ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા. તેઓ ગિબયોનથી સ્ત્રી-પુરુષો, સૈનિકો, બાળકો અને દરબારના પ્રધાનોને પાછાં લઈ આવ્યાં.
૧૭ તેઓએ બેથલેહેમ+ નજીક કિમ્હામમાં ઉતારો કર્યો. તેઓનો ઇરાદો ઇજિપ્ત જવાનો હતો,+
૧૮ કેમ કે તેઓ ખાલદીઓથી ડરતા હતા. બાબેલોનના રાજાએ અહીકામના દીકરા ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવ્યો હતો અને નથાન્યાના દીકરા ઇશ્માએલે તેને મારી નાખ્યો હતો, એટલે તેઓ ડરતા હતા.+