ગીતશાસ્ત્ર ૧૯:૧-૧૪

  • ઈશ્વરની રચના અને નિયમની સાક્ષી

    • “આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે” ()

    • ઈશ્વરનો સંપૂર્ણ નિયમ તાજગી આપે છે ()

    • ‘અજાણતાં કરેલાં પાપ’ (૧૨)

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૧૯  આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.+ ગગન* તેમના હાથનાં કામો જણાવે છે.+  ૨  દિવસ પછી દિવસ તેઓની વાણી ગુંજતી રહે છે,રાત પછી રાત તેઓ જ્ઞાન પ્રગટ કરે છે.  ૩  ન તો તેઓની વાણી સંભળાય,ન કોઈ શબ્દ, ન કોઈ બોલ.  ૪  તોપણ તેઓનો સાદ આખી ધરતી પર ગુંજે છે,*તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચે છે.+ તેમણે આકાશમાં સૂર્ય માટે તંબુ તાણ્યો છે.  ૫  સૂર્ય વરરાજાની જેમ પોતાના ઓરડામાંથી સજીધજીને નીકળે છે. તે દોડવીરની જેમ પોતાની દોડમાં આનંદ માણે છે.  ૬  તે આકાશના એક છેડાથી નીકળે છેઅને ગોળ ફરીને બીજા છેડા સુધી જાય છે.+ તેની ગરમીથી બધાને ફાયદો થાય છે.  ૭  યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+ યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+  ૮  યહોવાના આદેશો સાચા છે, એ અંતરમાં આનંદ છલકાવે છે.+ યહોવાની આજ્ઞાઓ શુદ્ધ છે, એ નયનોમાં જ્યોતિ ઝળકાવે છે.+  ૯  યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે. યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+ ૧૦  તેઓ સોના કરતાં,હા, એકદમ ચોખ્ખા* સોના કરતાં પણ વધારે મનપસંદ છે.+ તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+ ૧૧  તેઓથી તમારા ભક્તને ચેતવણી મળે છે.+ તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.+ ૧૨  પોતાની ભૂલોને કોણ પારખી શકે?+ અજાણતાં કરેલાં પાપથી મને નિર્દોષ ઠરાવો. ૧૩  અભિમાની બનીને ખોટાં કામો કરવાથી તમારા ભક્તને રોકજો.+ તેઓને મારા પર રાજ કરવા દેશો નહિ,+જેથી હું ઘોર પાપ* કરવાથી બચી જાઉં+અને બેદાગ રહું. ૧૪  હે યહોવા, મારા ખડક,+ મારા છોડાવનાર,+મારા મોંના શબ્દો અને મારા દિલના વિચારો તમને ખુશી આપે.+

ફૂટનોટ

અથવા, “અંતરિક્ષ.”
અથવા કદાચ, “તેઓનો વિસ્તાર આખી ધરતી પર ફેલાયેલો છે.”
અથવા, “બિનઅનુભવીને.”
અથવા, “ગાળેલા.”
અથવા, “ઘણા અપરાધો.”